બાળ શિક્ષણની રીતો-૫
નવેમ્બર 6, 2009 at 5:09 પી એમ(pm) rajeshwari Leave a comment
કવિતા મને ઘણા મહિનાઓ પછી મળી. અમે ઘણી બધી વાતો કરી. તેણે જણાવ્યું કે તેમના નવા બંગલામાં તેઓ રહેવા ગયા છે. મને તે જોવા અને સાથે જમવા આમંત્રણ આપ્યું. હું એક દિવસ તેને ઘેર જઈ પહોંચી. તેમણે શહેરના ખૂબ જ વખાણાતા એરિયામાં વિશાળ અને વૈભવશાળી બંગલો બનાવ્યો છે. તેણે ફરી ફરીને બધાજ રૂમ બતાવ્યા….ડ્રોઈંગરૂમ, લીવીંગ રૂમ,રસોડું, ડાઇનીંગ રૂમ,સ્ટોરરૂમ, પૂજારૂમ,ગેસ્ટરૂમ્સ, બાળકોના રૂમ વિગેરે વિગેરે… બધા જ રૂમોની શોભા અનેરી હતી. એકએકથી ચડિયાતું ફર્નીચર, પડદાઓ,સોફા,બેઠકો, શો પીસીસ, એન્ટીક પીસીસ વિગેરે…પણ મને એક વાત ખૂંચી. આખાય ઘરમાં ક્યાંય બાળકોની કે પોતાની સર્જનાત્મક કૃતિનાં મને ક્યાંય દર્શન ન થયા. હું કાંઈ બોલી નહીં અને થૉડી વાતો કરી પાછી ફરી. આ પછી ઘણા દિવસો વીતી ગયા.
એક દિવસ મારો એક નાનકડૉ વિદ્યાર્થી (દોસ્ત) વિનય મને તેના ઘેર લઈ ગયો.તે સાવ જ સામાન્ય સ્થિતિનો હતો. નાનકડા ફ્લેટનું બારણું ખૂલ્યું અને અમે ડ્રોઈંગરૂમમાં પ્રવેશ્યા. ફર્નીચર સાવ ઓછું અને મધ્યમ કક્ષાનું હતું. પણ તેની દિવાલો જોઈને હું નવાઈ પામી ગઇ. એક દિવાલ પર થર્મોકોલના શીટ પર સુંદર ચિત્રો લગાવ્યા હતા. બીજી દિવાલ પર પણ થર્મોકોલના શીટ પર સુંદર સુવાક્યો લખીને ચોંટાડ્યા હતા.ત્રીજી દિવાલ પર મહાન વ્યક્તિઓનાં ફોટોગ્રાફ્સ હતા અને ચોઠી દિવાલ પર??????
ચોથી દિવાલ પર એક ખૂબ મોટા ડ્રોઇંગ પેપર પર સાવ નાનાથી ક્રમશઃ મોટા થતા જતા હાથના પંજા અને પગના પગલાની જુદાજુદા રંગોની છાપો હતી.મારાથી પૂછ્યા વગર ના રહેવાયું..હું બોલી- ” આ બધી છાપો કેમ???” વિનયની મામ્મી બોલી-” બહેન, આ બધી જ છાપો વિનયના હાથના પંજાની અને તેના જ પગલાની છે. અમારે મન વિનયથી વધુ મૂલ્યવાન બીજું કશું જ નથી. અને બહેન, આ બધા ચિત્રો, ફોટા વિગેરે પણ વિનયે જ લગાવ્યા છે. સુવાક્યો પણ તેણે જ ભેગા કરી ને લખ્યા અને ચોંટાડ્યા. અમારે મન આનાથી ઉત્તમ બીજુઓ કોઇ જ વોલપીસ ન હોઇ શકે.”
ઘણી વાતો કર્યા પછી જ્યારે હું ઘેર જવા ઉભી થઈ ત્યારે વિનયના પપ્પા બોલ્યા-“દીકરા વિનય, તેં વેકેશનમાં બનાવેલ ગુલદસ્તો તો તારા ટીચરને ભેટ આપ “
વિનય દોડીને તેણે બનાવેલ વેલ્વેટ અને કાગળના પુષ્પો ગૂચ્છ સાથેસાથે
ફૂલો,પીંછા અને પાંદડા ચોંટાડેલા ગ્રીટીંગકાર્ડ પણ લઈ આવ્યો. મેં તેના માથા પર વહાલથી હાથ ફેરવ્યો. હું ખૂબ જ ખુશ થઈ. વિનયનું જે રીતે ઘડતર થઈ રહ્યું હતું તે તેને અક્લ્પનીય સિધ્ધિ અર્પશે તેમાં કોઇ જ શંકા નથી.
બાળકના ઉત્તમ ઉછેર માટે ઢગાલાબંધ પૈસાની જરૂર નથી હોતી, માત્ર યોગ્ય માર્ગદર્શન અને તેણે કરેલા સર્જનાત્મક કાર્યની યોગ્ય રીતે,યોગ્ય પ્રમાણમાં, યોગ્ય સમયે કરેલી પ્રશંસા તેનો આત્મવિશ્વાસ વધારે છે. તે પોતાના સ્વીકારાયેલા અસ્તિત્વ વડે આપોઆપ જ પ્રગતિ કરવાનું શરૂ કરે છે.
Entry filed under: બાળશિક્ષણની રીતો.
Trackback this post | Subscribe to the comments via RSS Feed